ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભક્તિ અને આસ્થાના એક પવિત્ર ધામ તરીકે આવેલું મા મહાકાળીનું મંદિર આજે પણ જગ વિખ્યાત છે. હજારો શ્રદ્ધાળુઓ અહીંયા રોજ દર્શન કરવા માટે આવે છે, ખુબ જ ભક્તિ ભાવથી માતાજીના દર્શન કરે છે, અને તેમના આશીર્વાદથી ધન્ય પણ બને છે.
વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
આ મંદિરનું ખાસ મહત્વ એટલા માટે પણ છે કે આ જગ્યા ઉપર માતા સતીના વક્ષસ્થલ (સ્તન) પડ્યા હતા જેના કારણે એક માતા તરીકે આ સ્થાન ખુબ જ પૂજનીય બને છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર દક્ષના યજ્ઞમાં અપમાનિત થવા બાદ માતા સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેમના મૃત શબને લઈને બ્રમ્હાન્ડમાં તાંડવઃ કરવા લાગ્યા હતા જેથી તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનથી દેવી સતીના ટુકડા કર્યા હતા અને એ ટુકડાઓ અને આભૂષણો જે જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાવવા લાગ્યા એમાનું જ આ એક પાવાગઢ સ્થાન છે જ્યાં માતાજીના સ્તન પડ્યા હતા અને તેથી જ ભક્તોને પાવાગઢમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે.
પાવાગઢ ઉપર રહેલા મહાકાળી માતાજી વિશે એમ પણ કહેવાય છે કે ગુરુ વિશ્વામીત્રીએ આ જગ્યા ઉપર માતાજીની આરાધના કરી હતી, માતાજીની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. કહેવાય છે કે મહાકાળીની મૂર્તિની વિશ્વાસમિત્રી દ્વારા જ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પાવાગઢથી નીકળવા વાળી નદીનું નામ પણ જ ગુરુ વિશ્વામિત્રીના નામ ઉપર જ રાખવામાં આવ્યું છે અને આ નદીને આજે પણ “વિશ્વામિત્રી” નદી તરીકે ઓળખવામાં આવે છે.
પાવાગઢનું નામ માત્ર લેવાથી મનમાં એક અદમ્ય શાંતિનો સંચાર થાય છે, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આ એક આસ્થા અને ભક્તિનું સ્થાન છે, ચૈત્ર મહિનામાં ઘણા જ ભાવિક ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શને ચાલીને આવતા હોય છે, ચૈત્રી પૂર્ણિમાએ અહીંયા મેળો ભરાય છે. ઘણા ગામોમાંથી સંઘ દ્વારા માતાજીનો રથ લઈને ચાલતા ભક્તો આ મંદિરે આવે છે, ભક્તોને રસ્તામાં અગવળ ના પડે અને તેમની સેવાનો પણ લાભ લઇ શકાય એ માટે ઘણા જ વિસામા રસ્તામાં સેવાભાવી લોકો બનાવે છે જેમાં ભક્તોને ચા-નાસ્તો, જમવાનું, દવાઓ, પાણી, શરબત આપવામાં આવે છે.
પાવાગઢ નો ઇતિહાસ
મહાકાળી
મહાકાળી માનો ઈતિહાસ
મહાકાળી માતાના ગરબા
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
મહાકાળી મા ના સ્ટેટસ
પાવાગઢ ડ્રોન વિડિયો
પાવાગઢ ના વિડીયો
પાવાગઢ ચાંપાનેર
![](https://i.ytimg.com/vi/9Gxs16xb3gM/maxresdefault.jpg)